ગોવા પર્યટકો માટે ખૂલી જરૂર ગયું છે પણ બાર, રેસ્ટોરન્ટ, કેસિનો અને બજાર સંપૂર્ણપણે બંધ છે. અંજુના, કેન્ડોલિમ, કલંગૂટ, બાગા જેવા 48 બીચ સૂમસામ છે. 4 મહિનાના લૉકડાઉન બાદ હવે લોકોની હિંમત જવાબ આપી રહી છે. અહીંની 4 હજાર હોટલમાંથી 160ને જ ખોલવાની પરમિશન મળી છે. 2 જુલાઇથી અત્યાર સુધીમાં તે માત્ર 7 ટકા જ ભરાઇ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગત વર્ષની તુલનાએ માત્ર 40 ટકા જીએસટી કલેક્શન થયું છે.
પર્યટકો કેમ નથી આવતા તે અંગે ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એસો. ઑફ ગોવાના અધ્યક્ષ નીલેશ શાહ કહે છે કે કોરોના સાથે ટૂરિઝમ વધારવું સરકારની જવાબદારી છે. લોકોને ખાતરી કરાવવી પડશે કે ગોવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ કોરોના ટેસ્ટના 2 હજાર રૂ. ખર્ચીને કોઇ ન આવે. મોટા ભાગના પર્યટકો મહારાષ્ટ્ર અને કર્ણાટકથી બાય રોડ આવી રહ્યા છે. ટ્રેન અને બસો બંધ છે. લૉકડાઉન પહેલાં વિવિધ શહેરોમાંથી રોજ 80 ફ્લાઇટ આવતી, હાલ માત્ર 5 આવે છે. પર્યટનનો બિઝનેસ ભયના ઓથાર હેઠળ ન થઇ શકે.
કલંગુટના પૂર્વ ધારાસભ્ય અજનેલો ફર્નાન્ડિસ જણાવે છે કે ગોવાનું ટૂરિઝમ દર વર્ષે વાર્ષિક 13થી 15 ટકાના દરે વધ્યું છે. 2018માં 88 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. વર્ષમાં દેશ-દુનિયામાંથી સરેરાશ 800-900 ચાર્ટર્ડ ફ્લાઇટ આવે છે. ગોવાની વાઇન શોપ્સમાં પણ ગ્રાહકો નથી. કોરોના અંગે ગોવાના સ્ટેટ સર્વેલન્સ ઓફિસર ડૉ. ઉત્કર્ષ બેટોડકર જણાવે છે કે અમે માઇક્રો-કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી રહ્યા છીએ. અંદાજે 20 લાખની વસતીવાળા ગોવામાં રોજ 2 હજાર કોરોના ટેસ્ટ કરાય છે.
લોકોનો આશાવાદ- ગોવા ખૂલશે ત્યારે નવરાશ નહીં મળે
ગોવાના સ્થાનિક લોકોને ટૂરિઝમમાં તેજી આવવાની આશા છે. તેમનું માનવું છે કે સિંગાપોર, બાલી, મલેશિયા, બેંગકોક કે યુરોપ જતા લોકો હવે ગોવા જ આવશે, કેમ કે ગોવા સસ્તું અને સુરક્ષિત છે. ટ્રાવેલ બસોના માલિક દામોદર કહે છે કે ગોવા ખૂલશે ત્યારે એવું ખૂલશે કે વાત કરવાની પણ નવરાશ નહીં હોય. ગોવાના અર્થતંત્રમાં 70 ટકા હિસ્સો ટૂરિઝમમાંથી આવે છે. 40 ટકા વસતીનું ગુજરાન ટૂરિઝમથી જ ચાલે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/goa-is-open-for-tourists-but-train-bus-is-closed-5-flights-are-coming-160-out-of-4-thousand-hotels-are-open-127524023.html
0 Comments