દ્રષ્ટિ નબળી ન હોત તો સચિન આજે પાઈલટ હોત, ચંદ્રાસ્વામીના કારણે છૂટ્યું હતું ગેહલોતનું મંત્રી પદ

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાઇલટ ચર્ચા છે. કેમ કે સરકારમાં ફૂટફાટ બાદ ડેપ્યુટી સીએમને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષપદેથી પણ હટાવાયા. પાઈલટ સહિત 18 ધારાસભ્યનું સભ્યપદ જોખમમાં, મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

સચિન પાઇલટ

  • જન્મ- 7 સપ્ટેમ્બર 1977
  • શિક્ષણ- બી.એ. ઇંગ્લિશ (સેન્ટ સ્ટિફન્સ કોલેજ, દિલ્હી), એમ.બી.એ. (વ્હાર્ટન સ્કૂલ આૅફ ધ યુનિ. આૅફ પેન્સિલવેનિયા, યુએસએ)
  • સંપત્તિ- 6.43 કરોડ રૂ. (શપથપત્ર મુજબ)
  • પરિવાર- પિતા- સ્વ. રાજેશ પાઈલટ (પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી), માતા- રમા પાઈલટ (પૂર્વ સાંસદ)
  • પત્ની- સારા અબ્દુલ્લા (સમાજસેવિકા અને યોગા ઇન્સ્ટ્રક્ટર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાની પુત્રી)
  • બે દીકરા- આરન અને વિહાન

ગેહલોતે પક્ષનું સભ્યપદ આપેલું
2002ની 10 ફેબ્રુઆરીએ જયપુરમાં યોજાયેલી કિસાન મજદૂર મહાપંચાયતમાં 25 વર્ષીય સચિન પાઇલટને તત્કાલીન સીએમ અશોક ગેહલોત, ગિરિજા વ્યાસ અને ભજનલાલે કોંગ્રેસનું સભ્યપદ અપાવ્યું. યોગાનુયોગ 18 વર્ષ બાદ પાઈલટના રાજકીય ભાવિ અંગે આશંકા વ્યક્ત કરાઇ રહી છે ત્યારે પણ ગેહલોત જ સીએમ છે.

સૌથી ઓછી વયે સાંસદ બન્યા
પાઈલટે 26 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા સાંસદ બનવાનો વિક્રમ સર્જ્યો હતો. તેઓ 2004માં રાજસ્થાનના દૌસાથી અને 2009માં અજમેરથી સાંસદ રહ્યા. 2014માં હાર્યા બાદ 2018માં ટોંકથી વિધાનસભા ચૂંટણી જીત્યા. યુપીએ-2માં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા.

જનરલ મોટર્સમાં 2 વર્ષ કામ કર્યું
પાઈલટ કોર્પોરેટ વર્લ્ડમાં જવા માગતા હતા. અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે બીબીસી ન્યૂઝના દિલ્હી બ્યૂરોમાં થોડો સમય કામ કર્યું. ત્યાર બાદ દિલ્હીમાં જનરલ મોટર્સમાં 2 વર્ષ કામ કર્યું. પિતા રાજેશ પાઈલટ દૌસાથી સાંસદ હતા અને માતા પણ પક્ષ સાથે જોડાયેલાં હતાં. વર્ષ 2000માં પિતાના અકસ્માતમાં મોત બાદ સચિન રાજકારણ તરફ વળ્યા.

17 વર્ષની ઉંમરે પાઈલટનું લાઈસન્સ
દિલ્હીમાં એરફોર્સ બાલ ભારતી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન પાઈલટનો એરક્રાફ્ટ સાથે લગાવ મજબૂત થતો ગયો. 1995માં 17 વર્ષની ઉંમરે માતા-પિતાને જાણ કર્યા વિના અમેરિકાથી પ્રાઈવેટ પાઈલટ લાઈસન્સ મેળવી લીધું હતું.

ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ છે પાઈલટ
સચિન ભારતીય સૈન્યમાં સ્ક્વોડ્રન લીડર રહેલા પિતા રાજેશની જેમ એરફોર્સમાં જવા ઇચ્છતા હતા પણ દ્રષ્ટિ નબળી હોવાના કારણે તે શક્ય ન બન્યું. બાદમાં તેઓ ભારતીય સૈન્યના એકમ ટેરિટોરિયલ આર્મીની 24ટીએ બટાલિયન (શીખ રેજિમેન્ટ)માં લેફ્ટનન્ટ બન્યા. તેઓ એસએસબીની લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ફિઝિકલ ફિટનેસ એક્ઝામ પાસ કર્યા બાદ 2013માં લેફ્ટનન્ટ બન્યા. સચિન શૂટર પણ છે. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

અશોક ગેહલોત

  • જન્મ- 3 મે 1951 (જોધપુર)
  • શિક્ષણ- બી.એસસી., એમ.એ. ઇકોનોમિક્સ, એલએલ.બી. (જોધપુર યુનિ.)
  • સંપત્તિ- 6.53 કરોડ રૂ.
  • પરિવાર- પિતા- સ્વ. લક્ષ્મણસિંહ ગેહલોત, પત્ની- સુનીતા ગેહલોત (ગૃહિણી)
  • પુત્ર- વૈભવ ગેહલોત (રાજકારણી)
  • પુત્રી- સોનિયા ગેહલોત
  • મુખ્યમંત્રી- 1998, 2008, 2018
  • સાંસદ- 1980, 84, 91, 96, 98
  • ધારાસભ્ય- 1999થી સરદારપુરા (જોધપુર) વિધાનસભા બેઠક પરથી અપરાજિત.

જૂથબાજી સાધવામાં માહિર
2018માં મુખ્યમંત્રીની રેસમાં પાઈલટનું નામ પણ હતું પરંતુ ગેહલોત સીએમ બન્યા. આ જ રીતે 1998માં દિગ્ગજ જાટ નેતા પરસરામ મદેરણા, હરિદેવ જોશી અને શિવચરણ માથુરનાં જૂથોને પાછળ છોડીને ગેહલોત સીએમ બન્યા હતા. તેઓ સોનિયા ગાંધીની પસંદગીથી સીએમ બન્યા હતા.

સ્વમાન માટે ખુરશી છોડવી પડી
વાત 1993ની 18 જાન્યુઆરીની છે. કોંગ્રેસના નરસિમ્હા રાવ યુગમાં ગેહલોત કેન્દ્રમાં મંત્રી હતા. તેમને રાજીનામું આપી દેવા આદેશ મળ્યો. તેઓ રાજીનામું આપીને ઘરે પાછા ફર્યા. કારણ તેઓ જાણતા હતા. પક્ષમાં વિશેષ મહત્ત્વ ધરાવતા ગોડમેન ચંદ્રાસ્વામી આગળ તેઓ નતમસ્તક નહોતા થયા.

ધારાસભ્યોની કિલ્લેબંધીમાં માહેર
ગત દિવસોમાં મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સમયે ત્યાંના ધારાસભ્યોની જયપુરમાં કિલ્લેબંધી ગેહલોતના નિરીક્ષણ હેઠળ થઈ હતી. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પાર્ટી સામે રાજકીય સંકટમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લવાયા હતા. ત્રણેય પ્રસંગે ગેહલોતે જ મોરચો સંભાળ્યો હતો.

કર્ણાટકમાં પણ સરકાર બનાવવી હતી
2018માં કર્ણાટકનાં પરિણામ કોંગ્રેસ માટે અનુકૂળ નહોતાં. જનતા દળ સેક્યૂલર સાથે ગઠબંધન કરવા અને કુમારસ્વામીને સીએમની ખુરશી આપવાની વાતચીત કરીને સમજૂતી કરવાની જવાબદારી પાર્ટીએ ગેહલોતને સોંપી હતી. ગેહલોત તેમાં સફળ પણ થયા હતા.

ગાંધીવાદી વિચારોથી પ્રેરિત, વર્ધા આશ્રમમાં રહ્યા
અશોક ગેહલોત યુનિવર્સિટી લેવલથી જ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિયમાં રહ્યા છે. તેમણે ખાતર-બિયારણની દુકાન પણ શરૂ કરી હતી પણ દોઢ વર્ષ પછી દુકાન ઠપ થયા બાદ સંપૂર્ણપણે રાજકારણ તરફ વળી ગયા. અશોકે 20 વર્ષની વયે જ કોંગ્રેસ જોઈન કરી હતી. પ્રસિદ્ધ ગાંધીવાદી ડૉ.સુબ્બારાવની સામાજિક શિબિરોમાં તે સમાજસેવા પણ કરતા હતા. ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત ગેહલોત થોડા સમય વર્ધા સ્થિત ગાંધી આશ્રમમાં પણ રહ્યા હતા. ગેહલોત શાકાહારી છે. ચા-બિસ્કિટના શોખીન છે અને પોતાની સાથે ખિસ્સામાં બિસ્કિટનું પેકેટ લઈને ફરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સચિન પાઇલટ અને અશોક ગેહલોતની ફાઇલ તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/if-it-werent-for-his-poor-eyesight-sachin-would-have-been-a-pilot-today-gehlot-was-resigned-ministerial-post-due-to-chandraswamy-127524071.html

Post a Comment

0 Comments