અમે તમને સમાચારની દ્રષ્ટિએ ગઈકાલનો દિવસ કેવો રહ્યો હતો તેમ જ આજનો દિવસ તમારા તથા તમારા પરિવાર માટે કેવો રહેશે તે અંગે જણાવી રહ્યા છીએ. બસ તમારે આ સંપૂર્ણ અહેવાલને વાંચવા થોડી મિનિટનો સમય આપવાનો છે.
1. રાજસ્થાનમાં વસુંધરા સમાચારોમાં
તો ચાલો શરૂઆત કરીએ.... ગઈકાલે એટલે કે શનિવારે પણ સમાચારોમાં રાજસ્થાનનું રાજકારણ છવાયેલુ રહ્યું હતું. છેલ્લી અપડેટ એ હતી કે ભૂતપુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ છેવટે તેમનું મૌન તોડ્યુ. તેમણે એક ટ્વિટ કરી કહ્યું- 'કોંગ્રેસના આંતરિક વિખવાદને લીધે પ્રદેશની પ્રજાને સહન કરવું પડી રહ્યું છે.' અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે હું 'ભાજપ' અને તેની 'વિચારધારા' બન્ને સાથે છું.
આ અગાઉ તેમની ઉપર અશોક ગેહલોતને સાથ આપવાનો આરોપ લાગ્યો હતો. અગ્રણી નેતા હનુમાન બેનીવાલે ગુરુવારે કહ્યું હતું કે તેઓ (વસુંધરા) ગેહલોત સરકારને બચાવી રહી છે. પાયલટ છાવણીએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો.
રાજસ્થાનમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગને લઈ જે ફોન ટેપિંગનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે તે અંગે ભાજપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.જેમાં ભાજપે કહ્યું હતું શું સત્તાવાર રીતે ફોન ટેપિંગ થયું, શું સરકાર પોતાને બચાવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે? તેની તપાસ CBI દ્વારા થવી જોઈએ.
2.અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તારીખ
હવે આગળ વધીએ ગઈકાલના બીજા સૌથી મોટા સમાચાર તરફ અને તમને લઈ જઈએ છીએ ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં. અયોધ્યાથી સમાચાર આવી રહ્યા છે કે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 3 અથવા 5 ઓગસ્ટના રોજ થઈ શકે છે. અંતિમ નિર્ણય માટે આ બન્ને તારીખ PMOને મોકલવામાં આવી છે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી શકે. મંદિરની ઉંચાઈ 161 ફૂટ હશે અને મંદિરમાં ત્રણને બદલે પાંચ ગુંબજ(Dome)હશે. ગઈકાલે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અયોધ્યામાં બેઠક યોજાઈ હતી, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
3. મહાકાળમાં ફક્ત મધ્ય પ્રદેશના લોકો જ આવી શકશે
ગઈકાલના ત્રીજા અગત્યના સમાચાર મહાકાલની નગરી ઉજ્જૈનથી આવ્યા. જો તમે મધ્ય પ્રદેશની બહાર રહો છો અને મહાકાલમાં શ્રદ્ધા રાખો છો તો આ જાણકારી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉજ્જૈનમાં કોરોનાના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં શનિવારે મંદિર પ્રશાસને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો. હવે ફક્ત મધ્ય પ્રદેશના રહેવાસીઓ બાબા મહાકાલના દર્શન કરી શકશે. અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને મહાકાલમંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
4. ટિકટોકની વિરુદ્ધમાં ટ્રમ્પ કેમ્પેન ચલાવે છે
એક સમાચાર વિદેશમાંથી. વાત અમેરિકાની છે. અહીં ટૂંક સમયમાં ટિકકોટ પર પ્રતિબંધ મુકવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર તેની વિરુદ્ધ એડ કેમ્પેન ચલાવી રહ્યા છે. આ કેમ્પેનમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીનની આ એપ અમેરિકાના નાગરિકોની જાસૂસી કરી રહી છે. ભારતે ગયા મહિને ચીનની 59 જેટલી એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકાના સાંસદે પણ ભારતના આ પગલાની પ્રશંસા કરી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને ટિકટોક પર પ્રતિબંધ મુકવા દબાણ કરી રહ્યા છે.
5. આજનો દિવસ કેવો રહેશે?
આજે રવિવાર છે. સાત રાશિ કન્યા, કુંભ, મીન, મેષ, મિથુન, તુલા અને સિંહ રાશિવાળાએ આજના દિવસે સંભાળીને રહેવું. પાંચ રાશિઓ વૃષભ, કર્ક, વૃશ્ચિક, ધનુ અને મકર રાશિવાળા લોકો માટે આજનો દિવસ ઠીક રહેશે.
આ વાત એસ્ટ્રોલોજીની કરી. હવે જાણીએ ટેરોકાર્ડ્સ શું કહે છે. તો રવિવારે ધન રાશિવાળા માટે દિવસ સારો રહેશે. મિત્રોની સલાહ ઘણી મહત્વની સાબિત થઈ શકે છે. મેષ રાશિવાળા માટે એક કાર્ય માટે અનેક વખત પ્રયત્ન કરવા પડી શકે છે.
6. જતા-જતા એવા સમાચાર કે જે તમે વાંચવાનું પસંદ કરશો
ફોન ટેપિંગ કેટલું યોગ્ય છે?
રાજસ્થાનમાં ફોન ટેપિંગને લઈ રાજકારણ ગરમ છે. ગયા વર્ષે કર્ણાટક અને ત્યારબાદ છત્તીસગઢમાં પણ ફોન ટેપિંગના આરોપ લાગ્યા હતા. હકીકતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને ઈન્ટરસેપ્ટ કરી શકે છે. પોસ્ટ ઓફિસ એક્ટ, ઈન્ડિયન ટેલીગ્રાફ એક્ટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં સરકારને આ અધિકાર મળ્યો છે.
કોરોનાની દવા
મોર્ડન મેડિસિન સમક્ષ કોરોનાથી મોટું જોખમ અગાઉ ક્યારેય આવ્યું ન હતું. વિશ્વભરના ડોક્ટર અને વૈજ્ઞાનિકો સતત રસીની શોધ કરવા કામે લાગેલા છે. નિષ્ણાતો કહે છે કે નિયત સમયમાં જો વેક્સીન તૈયાર થઈ જશે તો ઈતિહાસમાં આ સૌથી ઝડપી વેક્સીન પ્રોગ્રામ હશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/vasundhara-still-with-bjp-in-rajasthan-construction-of-ram-temple-in-ayodhya-may-start-from-august-127526147.html
0 Comments