2019માં ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર જીતનારા ડોક્ટર પીટ રેટક્લિફ નેફ્રોલોજિસ્ટ (કિડની રોગ નિષ્ણાત) છે. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર અને ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યુટના ક્લિનિકલ રિસર્ચ ડિરેક્ટર છે. આજે નેશનલ ડોક્ટર્સ ડે પર ભાસ્કરના રિતેશ શુક્લએ તેમની સાથે કોરોના રોગચાળા અને ભવિષ્યના ગંભીર સવાલો અંગે વાતચીત કરી. તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓને બંધ કરી શકાય નહીં, તેણે પોતાની પદ્ધતિ બદલવી પડશે. તેના માટે રાજનીતિ અને નેતાઓમાં સહમતિ જરૂરી. વાંચો વાતચિતના સંપાદિત અંશ :
મને જ્યારે નોબેલ પુરસ્કાર મળ્યો તો એટલા ફોન આવવા લાગ્યા કે, અચાનક લાગ્યું કે હું કોઈ મહાન આત્મા છું. મારાં બાળકો પણ મને આદરભાવથી જોવા લાગ્યાં. અમારા વ્યવસાયની મુખ્ય વાત એ છે કે, શરીરના અંગો કામ કરતા કેમ બંધ થાય છે અને તેમને ફરીથી કેવી રીતે કામ કરતા કરવા, આ ભાવના એક ડોક્ટરને ડોક્ટર બનાવે છે. વર્તમાન કોરોનાનો સમય જણાવે છે કે, આપણે ભવિષ્યમાં શું થશે, તેની પૂર્વતૈયારી કરવી પડશે. આપણાં સમાજમાં કોઈ વાત માનવી, કોઈ સવાલ ન પૂછવો ફેશન છે અને આથી જ મોટાભાગના લોકો કોઈ શોધ કરતા નથી. સમાજના બે પ્રકારના લોકોમાં એક પ્રકારનું સંતુલન હોવું જોઈએ. એક એવા છે, જે માન્યતાઓને તોડેે છે અને અસહનીય પરંતુ ઉપયોગી સવાલ ઉઠાવે છે. બીજા એ, જે પેશન સાથે જોડાઈને પોતાનું જીવન ગુજારે છે.
બીજું એ કે, આપણે નિર્ણય લેવા બાબતે જરૂર કરતા ભાર મુકીએ છીએ, પરંતુ નિર્ણય લેવાયા પછી શું કરવું તેના પર ધ્યાન આપતા જ નથી. આ હું એટલા માટે જણાવી રહ્યો છું, કેમ કે આપણે જે નિર્મય કરીએ છીએ, જે યોજનાઓ બનાવીએ છીએ, જરૂરી નથી કે તમામ પૂરી થાય.
હવે કોરોનામાં સવાલ એ છે કે, જો તેનાથી પણ મોટો રોગચાળો આવ્યો, જેમાં મૃત્યુ દર 50 ગણો વધુ હોય તો શું કરવું? શા માટે ભારતમાં કોરોનાથી થનારો મૃત્યુદર ઓછો છે, પરંતુ ઈટાલી કે સ્પેનમાં વધુ છે. રસી ક્યારે બનશે? આ સવાલોનો જવાબ તેના પર આધાર રાખે છે કે, માનવ શરીર પર કેટલા પરીક્ષણ થઈ રહ્યા છે. આપણે એ નથી જાણતા કે આ બીમારી સીધી લોહી પર અસર કરે છે કે કોઈ રિએક્ટિવ માધ્યમથી લોહીમાં પહોંચે છે. જ્યાં સુધી આ વાતની ખબર નહીં પડે ત્યાં સુધી વિશ્વસનીય રસી કે દવા બનાવવામાં મુશ્કેલી પડશે. કોરોના અંગે મારું માનવું છે કે, હાઈપોક્સિયા પર સ્ટડી તેજ કરવાની જરૂર છે. હાઈપોક્સિયા એ સ્થિતિ હોય છે, જ્યારે જરૂર જેટલું ઓક્સિજન શરીરના ટિશ્યુ સુધી પહોંચતું નથી.
મારા હિસાબે એલ્મિટ્રીન દવા, જેને એક ફ્રેન્ચ કંપની બનાવે છે, તેની ટ્રાયલ શરૂ કરવી જોઈએ. આ ફેફસાની બીમારીની દવા છે, જેનો ઉપયોગ અટકાવી દેવાયો છે. પરીક્ષણ વગર કોઈ પણ સવાલનો જવાબ મળી શકે નહીં. આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થાઓ પર પણ કોરોના કાળમાં આરોપ લાગી રહ્યા છે. હું એમ નહીં કહું કે, હવે ડબલ્યુએચઓની જરૂર નથી, પરંતુ તેના કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. રાજનીતિ પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી આવી છે, પરંતુ કોરોના રોગચાળાએ સ્પષ્ટ કરી દીધું છે કે, હવે રાજનૈતિક નિર્ણયો દુનિયાભરનાં લોકોને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ.
કેમિસ્ટ્રી ભણવું હતું, શિક્ષકોએ કહ્યું, મેડિસિન ભણો
હું કોલેજમાં એડમિશન લેવા ગયો તો કેમિસ્ટ્રી લેવું હતું, પરંતુ મારા પ્રિન્સિપાલના કહેવાથી મેડિસિન લીધું. મેં કોઈ સવાલ કર્યો નહીં.મેં તેમના કહેવાથી આ ક્ષેત્ર પસંદ કર્યું અને આજે મને મારું આ કામ ખૂબ ગમે છે. મને લાગે છે કે, તમે શું કરવા માગો છો તેના અંગે નિર્ણય લેવો જરૂરી છે, તો જ તમારે શું કરવું છે એ તમે નક્કી કરી શકશો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/what-would-happen-if-a-deadly-epidemic-spread-50-times-more-than-the-corona-somewhere-less-infection-somewhere-more-many-such-questions-need-to-be-answered-ratcliffe-127465575.html
0 Comments