ગાયનું ગોબર રેડિયેશન સામે રક્ષણ આપે છે


-રાષ્ટ્રીય કામધેનું પંચના અધ્યક્ષનો દાવો

-ગાયના ગોબરની ચીપની નિકાસ થાય છે

નવી દિલ્હી તા.13 ઓક્ટોબર 2020 મંગળવાર

રાષ્ટ્રીય કામધેનુ પંચના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરિયાએ એવો દાવો કર્યો હતો કે ગાયના છાણ (ગોબર)માં કિરણોત્સર્ગ (રેડિયેશન) સામે રક્ષણ આપવાની ક્ષમતા રહેલી છે.

સોમવારે કામધેનુ દિવાળી અભિયાન શરૂ કરતાં તેમણે ગાયના ગોબરમાંથી બનેલી એક ચીપ રજૂ કરી હતી અને કહ્યું હતું કે આ ચીપ મોબાઇલ ફોનમાંથી પ્રસારિત થતા રેડિયેશન સામે રક્ષણ આપે છે. તમે આ ચીપ મોબાઇલમાં ફિટ કરી શકો છો. 

તેમણે એવી માહિતી આપી હતી કે 500થી વધુ ગૌશાળા આવી ચીપ તૈયાર કરે છે અને એક ઉત્પાદક તો આવી ચીપ અમેરિકા મોકલે છે જ્યાં ચીપ દીઠ 10 ડૉલરના ભાવે વેચાય છે. અહીં અમે પચાસથી 100 રૂપિયામાં એક ચીપ આપીએ છીએ. 

કથીરિયાએ વધુમાં કહ્યું કે ટોચના અભિનેતા અક્ષય કુમારે થોડા સમય પહેલાં કહ્યું હતું કે એ ગોબર ખાય છે. તમે પણ ખાઇ શકો. ગોબર એક પ્રકારની ઔષધિ છે. આપણી ઘણી પ્રાચીન ઔષધિ વિશે આપણે ભૂલી ગયા છીએ. હવે અમે આ દિશામાં ગહન સંશોધ કરવાના છીએ. 

કામધેનુ દ્વારા દિવાળી ઊજવણી અંગે બોલતાં તેમણે કહ્યું કે ગોબરમાંથી બનેલા 33 કરોડ દીવા પ્રગટાવવામાં આવશે. ગણપતિ અને લક્ષ્મીજી પણ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવશે. 2019ના ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કામધેનુ પંચની રચના કરી હતી. એનેા ઉદ્દેશ ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો છે. 

કથીરિયાએ કહ્યું કે તમારે બીમારીથી બચવું હોય તો ગોબરમાંથી  બનેલી ચીપ તમારા મોબાઇલ ફોનમાં ફિટ કરી શકો છો. એ તમને રેડિયેશન સામે રક્ષણ આપશે.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GZ5zhk
via IFTTT

Post a Comment

0 Comments